ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિસાનગોષ્ઠિ યોજાઈ

૧૦૦થી વધુ ખેડૂતોએ મેળવ્યું પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન
ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા કિસાનગોષ્ઠિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારમાંથી અંદાજિત ૧૦૦થી વધુ ઉત્સાહી ખેડૂતોએ હાજર રહીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગેનું સચોટ અને વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે ખેડૂતોને ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. રાસાયણિક ખાતરો મુક્ત ખેતી કરી ઉત્પાદન ખર્ચ કેવી રીતે ઘટાડવો અને જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવવી તે અંગે રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી.
ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે ખેડૂતોના કૃષિ વિષયક પ્રશ્નોના યોગ્ય જવાબો આપીને મૂંઝવણોનું નિવારણ કરવામાં આવ્યું હતું.
આ કિસાનગોષ્ઠિમાં કૃષિ, બાગાયત અને સંશોધન ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નેચરલ ફોર્મિંગ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના અધિકારી ચેનાભાઈ પંચાલ,બાગાયત ખાતામાંથી બાગાયત અધિકારી કલ્પેશભાઈ પટેલ,મકાઈ સંશોધન કેન્દ્ર (ગોધરા)ના નિવૃત વૈજ્ઞાનિક કનુભાઈ પટેલ,આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવિનભાઇ મેહતા,આત્મા પ્રોજેક્ટના એટીએમ (ATM) અલ્પેશભાઈ રાઠોડ અને કલાવતીબેન બારીયા,ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાંથી ટીપીએમ (TPM) હાર્દિકભાઈ વણકર,એગ્રી આસિસ્ટન્ટ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ,સીઆરપી (CRP) જયંતીલાલ પટેલ,કૃષિ સખી કોકિલાબેન પટેલીયા ઉપસ્થિત રહ્યાં હતાં.



